ઈશ્વર આપણા રક્ષક
1પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે,
તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે,
એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી
અને નાશકારક મરકીથી બચાવશે.
4તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે
અને તેમની પાંખો નીચે આશ્રય મળશે.
તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
5રાત્રે જે ભય લાગે છે તેથી
અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે,
બપોરે મહામારીથી તું બીશ નહિ.
7તારી બાજુએ હજાર
અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે,
પણ તે તારી પાસે આવશે નહિ.
8તું માત્ર નજરે જોશે
અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
9કારણ કે યહોવાહ મારા આધાર છે!
તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
10તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ;
મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
11કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે,
તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.
12તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે,
કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13તું સિંહ તથા સાપ પર પગ મૂકશે;
સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
14કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ.
તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ.
હું સંકટસમયે તેની સાથે રહીશ;
હું તેને વિજય અપાવીને માન આપીશ.
16હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ
અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.