ધનદોલત પર મિથ્યા મદાર
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત.
1હે સર્વ લોકો, તમે આ સાંભળો;
હે વિશ્વાસીઓ, કાન ધરો.
2નિમ્ન અને ઉચ્ચ બન્ને,
શ્રીમંત તથા દરિદ્રી, તમે સર્વ ધ્યાન આપો.
3હું મારે મુખે બુદ્ધિ વિષે બોલીશ
અને મારા હૃદયના વિચારો ડહાપણ વિષે હશે.
4હું દ્રષ્ટાંત પર કાન લગાડીશ;
વીણા પર મારો મર્મ ખોલીશ.
5જ્યારે મારી આસપાસ અન્યાય થાય
અને મને શત્રુઓ ઘેરી લે, ત્યારે એવા દુષ્ટોના દિવસોમાં હું શા માટે બીહું?
6જેઓ પોતાની સંપત્તિ પર ભરોસો રાખે છે
અને પોતાના પુષ્કળ દ્રવ્યનું અભિમાન કરે છે.
7તેઓમાંનો કોઈ પોતાના ભાઈને કોઈ પણ રીતે બચાવી શકતો નથી
અથવા તેના બદલામાં ઈશ્વરને ખંડણી આપી શકતો નથી.
8કેમ કે તેના પ્રાણની કિંમત મોટી છે
અને એ વિચાર તેણે સદાને માટે છોડી દેવો જોઈએ.
9તે સદાકાળ જીવતો રહે
કે જેથી તેનું શરીર કબરમાં દફનાવાય નહિ.
10કેમ કે તે જુએ છે કે બુદ્ધિવંત માણસો મરણ પામે છે;
મૂર્ખ તથા અસભ્ય જેવા સાથે નાશ પામે છે
અને પારકાઓને માટે પોતાનું ધન મૂકીને જાય છે.
11તેઓના કબરો સદા માટે તેઓના ઘર રહેશે
અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે;
તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
12પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી;
તે નાશવંત પશુના જેવો છે.
13આપમતિયા માણસોનો માર્ગ મૂર્ખ જ છે;
તેમ છતાં તેઓના પછીના લોકો તેઓનો બોલ પસંદ કરે છે.
સેલાહ
14તેમને શેઓલમાં લઈ જવાના ટોળાં જેવા ઠરાવવામાં આવશે;
મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે;
તેઓ સીધા કબર તરફ ઉતરશે;
તેઓનું સૌંદર્ય શેઓલમાં એવું નાશ પામશે કે,
ત્યાં કોઈ બાકી રહેશે નહિ.
15પણ ઈશ્વર મારા આત્માને શેઓલના નિયંત્રણમાંથી છોડાવી લેશે;
તે મારો અંગીકાર કરશે.
સેલાહ
16જ્યારે કોઈ ધનવાન થાય છે,
જ્યારે તેના ઘરનો વૈભવ વધી જાય, ત્યારે તું ગભરાઈશ નહિ.
17કેમ કે જ્યારે તે મૃત્યુ પામે, ત્યારે તે પોતાની સાથે કંઈ લઈ જવાનો નથી;
તેનો વૈભવ તેની પાછળ જવાનો નથી.
18જ્યારે તે જીવતો હતો, ત્યારે તે પોતાના આત્માને આશીર્વાદ આપતો હતો
અને જ્યારે તું તારું પોતાનું ભલું કરે છે, ત્યારે માણસો તારાં વખાણ કરે છે.
19તે પોતાના પૂર્વજોના પિતૃઓની પાસે ચાલ્યો જાય છે;
પછી તેઓ જીવનનું અજવાળું ક્યારેય પણ નહિ જુએ.
20જે માણસ ધનવાન છે, પણ જેને આત્મિક સમજ નથી
તે નાશવંત પશુ સમાન છે.

Notes


*49:11 49:11 તેઓના અંતર વિચારોકબર તરફ ઉતરશે

49:14 49:14 યથાર્થીઓ સવારમાં તેમના પર અધિકાર ચલાવશે;

49:16 49:16 સંપત્તિ