કરારનામા પર લોકો વતી મુદ્રા કરનારાની યાદી
1જેઓએ મહોર મારી તેઓ આ હતા: હખાલ્યાનો દીકરો નહેમ્યા તે આગેવાન હતો. અને સિદકિયા, 2સરાયા, અઝાર્યા, યર્મિયા, 3પાશહૂર, અમાર્યા, માલ્કિયા.
4હાટ્ટુશ, શબાન્યા, માલ્લૂખ, 5હારીમ મરેમોથ, ઓબાદ્યા, 6દાનિયેલ, ગિન્નથોન, બારુખ, 7મશુલ્લામ, અબિયા, મીયામીન, 8માઝયા, બિલ્ગાય, શમાયા આ બધા યાજકો હતા.
9લેવીઓ આ હતા: અઝાન્યાહનો દીકરો યેશૂઆ, હેનાદાદના કુટુંબોમાંના બિન્નૂઈ તથા કાદમીએલ, 10અને તેઓના સાથી લેવીઓ, શબાન્યા, હોદિયા, કેલીટા, પલાયા, હાનાન, 11મીખા, રહોબ, હશાબ્યા, 12ઝાક્કૂર, શેરેબ્યા, શબાન્યા, 13હોદિયા, બાની અને બનીનુ. 14લોકોના આગેવાનો: પારોશ, પાહાથ-મોઆબ, એલામ, ઝાત્તૂ, બાની.
15બુન્ની, આઝગાદ, બેબાય, 16અદોનિયા, બિગ્વાય, આદીન, 17આટેર, હિઝકિયા, આઝઝુર, 18હોદિયા, હાશુમ, બેસાય, 19હારીફ, અનાથોથ, નેબાય, 20માગ્પીઆશ, મશુલ્લામ, હેઝીર, 21મશેઝાબએલ, સાદોક, યાદૂઆ.
22પલાટયા, હાનાન, અનાયા, 23હોશિયા, હનાન્યા, હાશ્શૂબ, 24હાલ્લોહેશ, પિલ્હા, શોબેક, 25રહૂમ, હશાબનાહ, માસેયા, 26અહિયા, હાનાન, આનાન, 27માલ્લૂખ, હારીમ તથા બાનાહ.
કરારનામું
28બાકીના લોકો, યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો અને તે દરેક જેઓ ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે પડોશી દેશોથી અલગ થયા હતા તે સર્વ તેમ જ તેઓની પત્નીઓ, તેઓના પુત્રો અને પુત્રીઓ તેઓ સર્વ પાસે જ્ઞાન અને સમજણ હતાં. 29તેઓ પોતાના ભાઈઓને અને ઉમરાવોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સાથે મળીને ઈશ્વરના નિયમ પ્રમાણે ચાલવાની પ્રતિજ્ઞા લીધી કે, ઈશ્વરના સેવક મૂસા મારફતે અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમે યહોવાહ અમારા ઈશ્વરની આજ્ઞા, નિયમો અને વિધિઓનું પાલન કરીશું.
30અમે વચન આપીએ છીએ કે, અમારી પુત્રીઓના લગ્ન દેશના અન્ય લોકો સાથે કરીશું નહિ અને અમારા પુત્રોનાં લગ્ન તેઓની પુત્રીઓ સાથે કરાવીશું નહિ. 31અમે એ વચન પણ આપીએ છીએ કે, બીજા દેશના લોકો વિશ્રામવારે કંઈ માલ કે અનાજ વેચવા આવે તો તે દિવસે અથવા બીજા કોઈ પવિત્ર દિવસે અમે તેઓની પાસેથી ખરીદીશું નહિ. અને પ્રત્યેક સાતમે વર્ષે અમે અમારા બીજા યહૂદી ભાઈઓનું બધું લેણું માફ કરીશું.
32અમે પોતાના ઈશ્વરના સભાસ્થાનની સેવાને માટે દર વર્ષે એક તૃતીયાંશ શેકેલ આપવાનો નિયમ સ્વીકારીએ છીએ. 33વળી અર્પણ કરવાની પવિત્ર રોટલીને માટે, નિત્યના ખાદ્યાર્પણને માટે, વિશ્રામવારનાં દહનીયાર્પણો માટે, ચંદ્રદર્શનના પર્વ માટે, ઠરાવેલાં પર્વો માટે, પવિત્ર કાર્યોને માટે તથા ઇઝરાયલના માટે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થાર્પણોને માટે અને ઈશ્વરના ભક્તિસ્થાનના સર્વ કાર્યોને માટે આપવાનો નિયમ તેઓએ ઠરાવ્યો.
34નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાહની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓનાં કુટુંબો પ્રમાણે પ્રતિવર્ષ ઠરાવેલા ચોક્કસ સમયે અમારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં લાકડાંઓના અર્પણો લાવવા માટે, અમે એટલે યાજકોએ, લેવીઓએ તથા લોકોએ વચનો આપ્યાં. 35અમે પ્રતિવર્ષ, અમારા ખેતરની પ્રથમ પેદાશ અને દરેક વૃક્ષના પ્રથમ ફળો યહોવાહનાં ભક્તિસ્થાનમાં લાવવા માટે પણ વચન આપ્યાં. 36નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા પુત્રોમાંના પ્રથમજનિત, જાનવરો તથા ઘેટાંબકરાંનાં પ્રથમજનિતને અમારા યહોવાહનાં ભક્તિસ્થાનમાં યાજકો પાસે લાવવાનાં વચનો આપ્યાં.
37અમારા બાંધેલા લોટનો પ્રથમ હિસ્સો તથા અર્પણો, દરેક વૃક્ષનાં ફળો, દ્રાક્ષારસ અને તેલ યાજકો માટે ઈશ્વરના ભક્તિસ્થાનનાં ભંડારમાં લાવીશું. વળી અમારી જમીનની ઊપજનો દસમો ભાગ અમે લેવીઓ પાસે લાવીશું. કારણ કે લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. 38લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.
39ઇઝરાયલીઓ અને લેવીઓએ પોતે ઉઘરાવેલાં બધાં અનાજના અર્પણો, દ્રાક્ષારસ, તેલનું ઉચ્છાલીયાર્પણ ભંડારના ઓરડાઓમાં લાવવાં, કેમ કે પવિત્રસ્થાનનાં પાત્રો ત્યાં રાખવામાં આવે છે. ત્યાં સેવા કરતા યાજકો, દ્વારપાળો તથા ગાયકો રહે છે.
આમ, અમે સૌ અમારા ઈશ્વરના સભાસ્થાનની અવગણના નહિ કરીએ.

Notes


*10:32 10:32 લગભગ 4 ગ્રામ