મંદિરના દ્વારપાળો
1દ્વારપાળોની ટુકડીઓ નીચે દર્શાવ્યાં પ્રમાણે પાડવામાં આવી હતી: કોરાહીઓમાં, આસાફના પુત્રોમાંના કોરેનો પુત્ર મશેલેમ્યા. 2મશેલેમ્યાના પુત્રો: જ્યેષ્ઠ પુત્ર ઝખાર્યા બીજો યદીએલ, ત્રીજો ઝબાદ્યા, ચોથો યાથ્નીએલ, 3પાંચમો એલામ, છઠ્ઠો યહોહાનાન, સાતમો એલ્યહોએનાય.
4ઓબેદ-અદોમના પુત્રો: જયેષ્ઠ શમાયા, બીજો યહોઝાબાદ,
ત્રીજો યોઆહ, ચોથો શાખાર, પાંચમો નથાનએલ,
5છઠ્ઠો આમ્મીએલ, સાતમો ઇસ્સાખાર, આઠમો પુલ્લથાઈ.
ઈશ્વરે ઓબેદ-અદોમને આશીર્વાદ આપ્યો હતો.
6તેના પુત્ર શમાયાને પણ પુત્રો હતા તેઓ તેઓના કુટુંબનાં અધિકારીઓ હતા;
કેમ કે તેઓ શૂરવીર હતા.
7શમાયાના પુત્રો: ઓથ્ની, રફાએલ, ઓબેદ, અને એલઝાબાદ.
તેના ભાઈઓ અલિહૂ અને સમાખ્યા શૂરવીર પુરુષો હતા.
8તેઓ સર્વ ઓબેદ-અદોમના પુત્રો હતા.
તેઓ, તેમના પુત્રો અને ભાઈઓ મુલાકાતમંડપ ની સેવાને માટે શૂરવીર અને શક્તિશાળી પુરુષો હતા.
ઓબેદ-અદોમના બાસઠ વંશજો હતા.
9મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા.
10મરારીના પુત્રોમાંના હોસાનાને પણ પુત્રો હતા.
તેઓમાં મુખ્ય શિમ્રી જો કે તે જયેષ્ઠ પુત્ર ન હતો,
પણ તેના પિતાએ તેને મુખ્ય ઠરાવ્યો હતો.
11બીજો હિલ્કિયા, ત્રીજો ટબાલ્યા, ચોથો ઝર્ખાયા.
હોસાના પુત્રો અને ભાઈઓ કુલ મળીને તેર હતા.
12એ મુખ્ય દ્વારપાળોની તેમના આગેવાનો દ્વારા ક્રમવાર ટુકડીઓ પાડવામાં આવી હતી. તેઓને પોતાના ભાઈઓની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. 13તેઓએ નાનાએ તેમ જ મોટાએ પોતાના કુટુંબો પ્રમાણે દરેક દરવાજાને માટે ચિઠ્ઠીઓ નાખી. 14પૂર્વ તરફની ચિઠ્ઠી શેલેમ્યાની નીકળી. ત્યાર બાદ તેનો પુત્ર ઝખાર્યા જે બુદ્ધિમાન મંત્રી હતો તેને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી. અને તેની ચિઠ્ઠી ઉત્તર તરફની નીકળી.
15ઓબેદ-અદોમની દક્ષિણ તરફના દરવાજાની અને તેના પુત્રોની ચીઠ્ઠી ભંડારના દરવાજાની નીકળી. 16શુપ્પીમ તથા હોસાની ચિઠ્ઠી પશ્ચિમ તરફના દરવાજાની એટલે ચઢતા ઢોળાવની સડક ઉપર આવેલા શાલ્લેખેથ દરવાજા પાસેની સામસામી બીજી ચોકીના દરવાજાની નીકળી.
17પૂર્વ તરફના દરવાજે રોજ છ લેવીઓ હાજર રહેતા હતા, તથા ઉત્તર તરફના દરવાજે ચાર, ‘દક્ષિણ તરફના દરવાજે ચાર અને દરેક દરવાજાને માટે બબ્બે. 18પશ્ચિમના દરવાજાની ઓસરી તરફ સડક પર ચાર દ્વારપાળો અને ઓસરી તરફ બે દ્વારપાળો હતા. 19કોરાહી તથા મરારીના વંશજોને દ્વારપાળો તરીકેનું કામ વહેંચી આપવામાં આવ્યું હતું.
લેવીઓની મંદિરને લગતી અન્ય ફરજો
20લેવીઓ પૈકી અહિયા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારો તથા અર્પિત વસ્તુઓના ભંડાર પર હતો. 21લાદાનના વંશજો: ગેર્શોનના કુટુંબમાં મુખ્ય યહીએલી જે તેમનો આગેવાન હતો. 22ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા.
23આમ્રામીઓ, ઈસહારીઓ, હેબ્રોનીઓ અને ઉઝિયેલીઓમાંથી પણ ટુકડીઓ પસંદ કરવામાં આવી હતી. 24મૂસાના પુત્ર ગેર્શોમનો પુત્ર શબુએલ ભંડારો પર કારભારી હતો. 25શબુએલનાં ભાઈઓ: એલિએઝેરનો પુત્ર રહાબ્યા,
રહાબ્યાનો પુત્ર યશાયા,
યશાયાનો પુત્ર યોરામ,
યોરામનો પુત્ર ઝિખ્રી,
ઝીખ્રીનો પુત્ર શેલોમોથ.
26આ શલોમોથ અને તેના કુટુંબીઓ પવિત્ર વસ્તુઓના જે સર્વ ભંડારો દાઉદ રાજાએ તેના કુટુંબોના આગેવાનોએ, સહસ્રાધિપતિઓએ શતાધિપતિઓએ સૈન્યના સરદારોએ અર્પણ કર્યાં હતા, તેની જવાબદારી સંભાળતા હતા. 27તે લોકોએ યુદ્ધ દરમિયાન મળેલી લૂંટમાંનો કેટલોક ભાગ ઈશ્વરનું ભક્તિસ્થાન સમારવા માટે આપ્યો હતો. 28જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું.
29ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા. 30હેબ્રોનીઓમાંના હશાબ્યા તથા તેના ભાઈઓ એક હજાર સાતસો શૂરવીર પુરુષો હતા. તેઓ ઈશ્વરના સર્વ કામ માટે તથા રાજાની સેવાની માટે યર્દન પાર પશ્ચિમ તરફના ઇઝરાયલના અધિકારીઓ હતા.
31હેબ્રોનીઓના પિતૃઓના વંશજોના કુટુંબીઓમાં મુખ્ય યરિયા આગેવાન હતો. દાઉદની કારકિર્દીના ચાળીસમાં વર્ષમાં તેઓની ચૂંટણી થઈ અને તેઓમાંના કેટલાક પરાક્રમી પુરુષો ગિલ્યાદમાં આવેલા યાઝેરમાં મળી આવ્યા. 32યરિયાના ભાઈઓમાં પરાક્રમી પુરુષો તથા તેઓના કુટુંબોના સરદારોની સંખ્યા બે હજાર સાતસો હતી. તેઓને દાઉદ રાજાએ ઈશ્વર સંબંધી પ્રત્યેક બાબતને માટે તથા રાજાના કામ માટે રુબેનીઓ, ગાદીઓ, તથા મનાશ્શાના અર્ધકુળ પર દેખરેખ રાખવાની જવાબદારી સોંપી.