જ્ઞાનનો પુરસ્કાર
1મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે
અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,
2ડહાપણની વાત સાંભળશે
અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;
3જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે
અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;
4જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે
અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;
5તો તને યહોવાહના ભયની સમજણ પડશે
અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.
6કેમ કે યહોવાહ ડહાપણ આપે છે,
તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.
7તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે,
પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.
8તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે
અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.
9ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને,
હા, દરેક સત્યમાર્ગને સમજશે.
10તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે
અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.
11વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે,
બુદ્ધિ તારું રક્ષણ કરશે.
12તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી,
ખોટું બોલનાર માણસો કે,
13જેઓ સદાચારના માર્ગ તજીને
અંધકારનાં માર્ગોમાં ચાલે છે.
14જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે
અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.
15તેઓ આડા માર્ગોને અનુસરે છે
અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.
16વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી,
એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.
17તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે
અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.
18કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ
અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.
19તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી
અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.
20તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે
અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.
21કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે
અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.
22પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે
અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.