અલિફાઝ (ચાલુ)
1“હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું?
તું હવે ક્યા પવિત્રને શરણે જશે?
2કેમ કે ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે;
ઈર્ષ્યા મૂર્ખનો જીવ લે છે.
3મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે,
પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો.
4તેનાં સંતાનો સહીસલામત નથી,
તેઓ ભાગળમાં કચડાય છે.
અને તેઓનો બચાવ કરે એવું કોઈ નથી.
5તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે,
વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે.
તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.
6કેમ કે વિપત્તિઓ ધૂળમાંથી બહાર આવતી નથી.
અને મુશ્કેલીઓ જમીનમાંથી ઊગતી નથી.
7પરંતુ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે.
તેવી જ રીતે મનુષ્ય સંકટને સારુ સૃજાયેલું છે.
8છતાં હું ઈશ્વરને શોધું અને મારી બાબત ઈશ્વરને સોંપું.
9તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે
તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.
10તે પૃથ્વી પર વરસાદ વરસાવે છે,
અને ખેતરોમાં જળ પહોંચાડે છે.
11તે સામાન્ય માણસને માનવંતા બનાવે છે;
તથા શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે.
12તે ચાલાક, પ્રપંચી લોકોની યોજનાઓને એવી રદ કરે છે કે,
જેથી તેઓના હાથથી તેમનાં ધારેલાં કાર્યો થઈ શકતાં નથી.
13કપટી લોકોને તે પોતાના જ છળકપટમાં ગૂંચવી નાખે છે.
અને દુષ્ટ માણસોના મનસૂબાનો નાશ કરે છે.
14ધોળે દહાડે તેઓને અંધકાર દેખાય છે,
અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.
15પણ તે લાચારને તેઓની તલવારથી
અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે.
16તેથી ગરીબને આશા રહે છે,
અને દુષ્ટોનું મોં ચૂપ કરે છે.
17જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે. તેને ધન્ય છે,
માટે તું સર્વસમર્થની શિક્ષાને તુચ્છ ન ગણ.
18કેમ કે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે;
તે ઘાયલ કરે છે અને તેમના હાથ તેને સાજા કરે છે.
19છ સંકટમાંથી તે તને બચાવશે,
હા, સાતમાંથી તને કંઈ નુકસાન થશે નહિ.
20તે તને દુકાળમાં મૃત્યુમાંથી;
અને યુદ્ધમાં તલવારના ત્રાસમાંથી બચાવી લેશે.
21જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે.
અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ.
22વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.
અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.
23તારા ખેતરના પથ્થરો પણ તારા સંપીલા મિત્રો બનશે.
પૃથ્વી પરનાં જંગલી જાનવરોથી પણ તું બીશે નહિ.
24તને ખાતરી થશે કે તારો તંબુ સુરક્ષિત છે.
અને તું તારા પોતાના વાડાને તપાસી જોશે,
તો તને કશું ખોવાયેલું જોવા મળશે નહિ.
25તને ખાતરી થશે કે મારે પુષ્કળ સંતાનો છે,
અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
26જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘરે લવાય છે.
તેમ તું તારી પાકી ઉંમરે કબરમાં જઈશ.
27જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે;
તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.”